Exclusive Visit

સુરત શહેર-જિલ્લામાં પડેલા ભારે વરસાદ પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ:

અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરાવી ઝડપથી કેશડોલ્સ, ઘરવખરી સહાય ચૂકવવાનો આદેશ આપતા નાણા મંત્રીશ્રી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સુરત શહેર-જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાની પરિસ્થિતિ સંદર્ભે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરાવી ઝડપથી કેશડોલ્સ, ઘરવખરી સહાય ચૂકવવાનો આદેશ આપતા નાણા મંત્રીશ્રી

સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાની પરિસ્થિતિ સંદર્ભે નાણા મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે ચર્ચાવિચારણા કરી મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરાવી ઝડપથી કેશડોલ્સ, ઘરવખરી સહાય ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ સંદર્ભે સ્થાનિક તંત્ર સાથે સતત સંકલન અને સંપર્કમાં છે. તેમણે વોટરલોગીંગની સમસ્યાને નિવારવા માટે જરૂરિયાત અનુસાર ડીવોટરીંગ પંપ અને અન્ય સાધનસામગ્રી ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું. અસરગ્રસ્ત ઝોનમાં ભરાયેલા પાણીનો ઝડપભેર નિકાલ કરવા જણાવી રેસ્ક્યુ, સ્થળાંતર, ફૂડપેકેટ્સની વ્યવસ્થા, વોટરબોટ, શેલ્ટર હોમ્સ અને રિલીફ સેન્ટરોની વિગતવાર જાણકારી મેળવી હતી.
કોઈપણ ગામ, વિસ્તાર કે ચોક્કસ સ્થળે પાણી ભરાઈ જવાની તેમજ રાહત અને બચાવની સ્થિતિ ઊભી થાય તો સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર, વિવિધ આશ્રયસ્થાનો પર પીવાનું પાણી, ફૂડપેકેટ્સ, સફાઈ અભિયાન, જરૂરી દવાઓ તથા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ માટે આગોતરૂ આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.
રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સાથે છે અને નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે એમ જણાવી જનપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી હતી. તેમણે મનપાના અધિકારીઓને ધારાસભ્યશ્રીઓ સાથે સંકલનમાં રહી પરસ્પર સહયોગની ભાવના સાથે લોકપ્રશ્નો ઉકેલવા અનુરોધ કર્યો હતો.
મ્યુ.કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં જ સિઝનનો ૩૦ ટકા વરસાદ શહેરમાં નોંધાયો છે. ૩૬૦૦ લોકોનું રેસ્ક્યુ, ૪૧૦૦ અસરગ્રસ્ત લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડ્યા છે. NDRFની ૨ અને SDRF ની ૫ ટીમો કાર્યરત છે.
જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે, પલસાણા અને કામરેજમાં સૌથી વધુ વરસાદ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો ઝડપભેર સર્વે માટે આજ રાતથી જ ટીમો ડીપ્લોય કરાશે. શહેર-જિલ્લામાં ૪૦ જેટલા કાચા-પાકા મકાનોને થયેલા નુકસાન અંગે વિગતો આપી હતી.
બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વ શ્રી મુકેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, કિશોરભાઈ કાનાણી, જિ.પં.પ્રમુખશ્રી સમીર મોદી, મેયર શ્રીમતી માયાબેન માવાણી, પો.કમિશનરશ્રી વાબાંગ જમીર, જિ.વિકાસ અધિકારીશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, પદાધિકારી-અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button