Gujarat

ભાદરવી પૂનમ અન્યવે મા અંબાનો મનભાવન પ્રસાદ એટલે મોહનથાળ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ભાદરવી પૂનમ અન્યવે મા અંબાનો મનભાવન પ્રસાદ એટલે મોહનથાળ:

ભાદરવી પૂનમના મેળા દરમિયાન એક હજાર ઘાણ એટલે કે ૩,૨૫,૦૦૦ કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન

એક ઘાણમાં ૧૦૦ કિલો બેસન, ૧૫૦ કિલો ખાંડ ૭૫ કિલો ઘી, ૨૦૦ ગ્રામ ઈલાયચી વપરાય છે

ઘાણ બનાવવામાં ૧૦૦ જેટલા કારીગરો , પેકિંગ માટે ૨૦૦ થી ૩૦૦ કારીગરો સહિત અન્ય કામ માટે ૧૦૦ થી ૧૫૦ માણસો સેવાઓ આપી રહ્યા છે

પાલનપુર: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૧૨ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા, દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે.

દર વર્ષે મેળા દરમિયાન ત્રીસ થી ચાલીસ લાખ માઇભકતો મેળામાં આવતા હોય છે. મેળામાં આવતા તમામ માઇભકતોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ, પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે.

૧૨ સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ૧૧ સપ્ટેમ્બરના રોજ ૯૦ થી ૧૦૦ ઘાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. રોજે રોજ યાત્રિકોના ઘસારાને ધ્યાને રાખી મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવે છે. આ માટે એક ઘાણ માં ૧૦૦ કિલો બેસન, ૧૫૦ કિલો ખાંડ ૭૫ કિલો ઘી- પાંચ ડબા સાથે દોઢ કિલો ઘી, ૨૦૦ ગ્રામ ઈલાયચીનો વપરાશ થાય છે. આ માટે ઘાણ બનાવવામાં ૧૦૦જેટલા કારીગરો , પેકિંગ માટે ૨૦૦ થી ૩૦૦ કારીગરોને લોડીંગ, રો મટીરીયલ, અને અન્ય કામ માટે ૧૦૦ થી ૧૫૦ માણસો સેવાઓ આપી રહ્યા છે. મેળા દરમિયાન ૧૦૦૦ ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે.

એક ઘાણ એટલે લગભગ ૩૨૫ કિલોના હિસાબે મેળા દરમિયાન ૩,૨૫,૦૦૦ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે. હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી આવે મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે.

ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રુફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીનાં દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. આ મનભાવન મોહનથાળ પ્રસાદ વગર અંબાજી યાત્રા અધૂરી ગણાતી હોવાની લોકોની શ્રદ્ધા હોવાથી પદયાત્રાના પ્રસાદ સ્વરૂપે આવનાર તમામ માઇભકતો મોહનથાળ અવશ્ય લઈ જાય છે.

રોજના ત્રણ થી ચાર લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન: જિલ્લા પુરવઠા અધિકારીસુશ્રી પદ્મિની રાઠોડે જણાવ્યું હતું કે માઈભક્તોની શ્રદ્ધા અનુસાર પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક હજાર ઘાણ બનાવવાનું આયોજન કરાયું છે. દોઢ લાખ કિલો ખાંડ, એક લાખ કિલો બેસન અને બસો કિલો ઈલાયચી પાવડર અને પાંચ હજાર ડબા ઘીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. રોજના ૩ થી ૪ લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન કરી ૧૪ વિતરણ કેન્દ્રો પર સુગમતાથી પ્રસાદ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button