South Gujarat

નર્મદામાં વરસાદી પાણીના અવરોધથી ખેડૂતોના ખેતરો જળબંબાકાર, પાકને ભારે નુકસાન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

નર્મદામાં વરસાદી પાણીના અવરોધથી ખેડૂતોના ખેતરો જળબંબાકાર, પાકને ભારે નુકસાન:

રાજપીપલાના વાવડી રોડ પર ખેતરોમાં પાણી ભરાયા, ખેડૂતે ધરણાની ચીમકી ઉચ્ચારી:

સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં મધરાતથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજપીપલા શહેરના વાવડી રોડ વિસ્તારમાં આવેલા અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે ખેતરોમાં વાવેલા પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, વાવડી રોડ પર આવેલી શ્રી રામ હેરિટેજ સોસાયટીના બિલ્ડર દ્વારા વરસાદી પાણીના કુદરતી નિકાલ માર્ગ પર નાની સાઈઝની સિમેન્ટની પાઈપ નાખવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાઈ જતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ તા. 20 મે, 2026ના રોજ નાંદોદ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ખેડૂતોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા માત્ર વરસાદી પાણીની કાસની સફાઈ કરવામાં આવી હતી, જ્યારે અવરોધરૂપ સિમેન્ટની પાઈપ દૂર કરવામાં આવી નહોતી.

ખેડૂત હેમંત વસાવાએ તંત્રને તાત્કાલિક સિમેન્ટની પાઈપ હટાવી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ વરસતા વરસાદ વચ્ચે જ ધરણા પર બેસશે.

હાલ ખેડૂતો તાત્કાલિક કાર્યવાહી અને પાકના નુકસાન અંગે યોગ્ય સર્વે કરી જરૂરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button