Gujarat

લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતાનગરે જળ પૂજન અને વધામણાં કરતા મુખ્યમંત્રી: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતાનગરે જળ પૂજન અને વધામણાં કરતા મુખ્યમંત્રી: 

બિપિન વસાવા, નેત્રંગ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૦ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ ૦૬ વખત – વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન મીટર છે.
  
રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા જળ પૂજન અને વધામણા કરીને આગળ ધપાવી છે. તેમણે પારસમણિ સમાન નર્મદા જળનો કરકસર પૂર્વક અને વિવેક પૂર્ણ ઉપયોગ કરવાની સૌને અપીલ કરી છે. 

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સહજ ભાવે સંવાદ-વાર્તાલાપ કર્યો હતો અને વિવિધ ટુરીસ્ટ ફેસેલિટીઝની જાણકારી મેળવી હતી.

સરદાર પટેલ જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતા નગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીના વિશેષ અવસરે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

નર્મદા જળપૂજનના આ પવિત્ર અવસરે છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલભાઈ રાવ, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભિમસિંગભાઇ તડવી, સંગઠનના પદાધિકારીઓ, મુખ્યસચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ  નર્મદા નિગમનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરી, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી નિપુણા તોરવણે, સરદાર સરોવર નર્મદા નિગમના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અમિત અરોરા, ડાયરેકટર શ્રી ડી.સી.ઠક્કર, જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button