નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજ ચીકાલી ગામની પ્રાથમિક શાળામાં વનવિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી જી. રમણ મૂર્થીના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજ ચીકાલી ગામની પ્રાથમિક શાળામાં વનવિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી જી. રમણ મૂર્થીના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો:
ટકાવારી આધારિત નહીં પરંતુ સ્પર્ધાત્મક શિક્ષણ વર્તમાન સમયની માંગ છે : અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી જી. રમણ મૂર્થી:
નવરચના ઉચ્ચતર માધ્યમિક શાળા સાગબારામાં ધોરણ ૯ અને ૧૧ માં વિધાર્થીઓને શૈક્ષણીક કીટ આપી શાળા પ્રવેશ અપાવ્યો:
સર્જન વસાવા, ડેડિયાપાડા : રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના છેલ્લા દિવસે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ ચીકાલી ગામની પ્રાથમિક શાળામાં વનવિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી જી. રમણ મૂર્થીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપ્યો હતો. કન્યા કેળવણી મહોત્સવના સમાપનના ભાગરૂપે નવરચના ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધોરણ ૯ અને ૧૧ માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને શૈક્ષણીક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે શ્રી જી. રમણ મૂર્થીએ જણાવ્યું હતું કે, દરેક બાળકને સમાન શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ગામેગામ જઈને શાળા પ્રવેશોત્સવના ઉત્સવ થકી બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. ત્યારે બાળકોને ભણવું ગમે તેવું સકારાત્મક વલણ અને પોઝિટિવ વાતાવરણ ઘરમાં બનાવી અભ્યાસ માટે બાળકોને પ્રેરિત કરવા જોઈએ. જીવનમાં શિક્ષણનો કેવી રીતે ઉપયોગ કરવો તે દરેક વ્યક્તિ ઉપર આધાર રાખે છે. હાલમાં સ્પર્ધાત્મક શિક્ષણનો સમય છે. તેથી માત્ર ટકાવારી આધારિત શિક્ષણ નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં ટકી શકે તેવુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે દિશામાં સરકાર સાથે વાલીઓએ પણ જોડાઈને પ્રયત્નો કરવા પડશે તેમ કહ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે પયૉવરણના રક્ષણ અને જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષને દરેક વ્યક્તિની માતાનાં પવિત્ર બંધન સાથે જોડી ગૌરવની ભાવના સાથે એક પેડ માં કે નામનો મંત્ર આપ્યો છે. જેને અનુસરી આપણે સૌ પોતાની માતાના નામે એક છોડ રોપી તેનો ઉછેર કરીએ તો પર્યાવરણને પણ બચાવી શકીશું. તેથી પયૉવરણ જાગૃતિ માટે આગળ આવવા સૌને આહવાન કર્યું હતું.
શાળાના શ્રેષ્ઠ તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ બન્ને શાળાના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાદમાં SMC ના સભ્યો સાથે બેઠક યોજી હતી.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, નવરચના ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલક ફાધર પ્રવિણ વેગડ, ફાધર આનંદ, સિસ્ટર કાર્મેલ, શ્રી દશરથભાઈ વસાવા, શિક્ષકો, વાલીએ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.



