શામળાજી થી વાપી ફોર લેન હાઈવેના અસરગ્રસ્ત ખેડુતોની ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
રાજપીપળા ખાતે શામળાજી થી વાપી ફોર લેન હાઈવેના અસરગ્રસ્ત ખેડુતોની ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક યોજાઇ:
જો સરકાર અસરગ્રસ્ત ખેડુતોની માંગ પુરી નહિ કરે તો જલદ આંદોલનની ધારાસભ્ય ચૈતર વસાવાની ચીમકી:
નર્મદા: શામળાજી થી વાપી સુઘી અગામી નવ નિર્માણ થનારા નેશનલ હાઇવે-૫૬ નો હાલ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. એ વિરોધ વચ્ચે પણ તંત્ર દ્વારા પોલીસના જાપ્તા સાથે જમીન માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો બીજી બાજુ અસરગ્રસ્ત ખેડુતોએ સરકાર સામે લડી લેવાનું હવે મન બનાવી દીધું છે. આ નેશનલ હાઇવેમાં વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા , બોડેલી, છોટાઉદેપુર, ગોધરા, અને અરવલ્લી જિલ્લાની લગભગ 1500 હેકટર જમીન સંપાદિત થવાની છે સાથે સાથે તો કેટલાયે પાકા મકાનો પણ તૂટવાના છે. તો બીજી બાજુ લીલાછમ વૃક્ષોનું નિકંદન પણ થવાનું છે.ત્યારે પોતાની જમીન, પાકા મકાનો અને અને વૃક્ષોના નિકંદનને બચાવવા માટે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ,તાપી, નર્મદા, બોડેલી, છોટાઉદેપુર, ગોધરા, અને અરવલ્લી જિલ્લાના અસરગ્રસ્ત ખેડુત આગેવાનોએ દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક કરી હતી. આ બેઠકમા હાજર ખેડુતોએ ચૈતર વસાવા સમક્ષ પોતાની વેદના ઠાલવી જણાવ્યું હતું કે અમે કાળી મજૂરી કરી જમીન વસાવી છે તો કોઈકે પાકા મકાનો બનાવ્યાં છે.સરકાર પાસે આ હાઈવે બનાવવા માટે બીજો વૈકલ્પિક રસ્તો પણ છે તે છતાં ત્યાંથી રસ્તો બનાવતા નથી.
તો આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમે આ હાઈવેની કામગીરીનો વિરોધ કરીએ છીએ. આ હાઇવે બનવાથી કેટલાએ ખેડૂતો જમીન વિહોણા બની જવાથી ખેડૂત મટી જાય છે, હજુ પર્યાવરણની મંજૂરી મળી નથી તે છતાં તંત્રએ કામગીરી ચાલુ કરી દીધી છે.આગામી સમયમાં આખા આદિવાસી પટ્ટા માંથી અસરગ્રસ્ત ખેડુતોની સમિતિ બનાવી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉચ્ચારી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા