South Gujarat

ઈ-ફાઈલિંગના નવા નિયમ સામે ડેડીયાપાડા બાર એસોસિએશનનો બળાપો, અનિશ્ચિત મુદત સુધી અદાલતી કામગીરીનો બહિષ્કાર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ઈ-ફાઈલિંગના નવા નિયમ સામે ડેડીયાપાડા બાર એસોસિએશનનો બળાપો, અનિશ્ચિત મુદત સુધી અદાલતી કામગીરીનો બહિષ્કાર:

ટેકનિકલ સુવિધાઓના અભાવે ડેડીયાપાડા બાર એસોસિએશનનો મોટો નિર્ણય, કોર્ટ બિલ્ડિંગમાં પણ વર્ષોથી ઈન્ટરનેટની સુવિધાનો અભાવ:

સર્જન વસાવા, ડેડિયાપાડા: ડેડીયાપાડા બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ એ-4 સાઈઝના કાગળ પર ફરજિયાત ઈ-ફાઈલિંગની નવી વ્યવસ્થા સામે વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશનની સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને 6 ઓગસ્ટ, 2026થી અનિશ્ચિત મુદત સુધી અદાલતી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાર એસોસિએશનના જણાવ્યા મુજબ અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઈન્ટરનેટ સહિતની મૂળભૂત ટેકનિકલ સુવિધાઓનો અભાવ છે. ખાસ કરીને ડેડીયાપાડા સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં પણ વર્ષોથી સ્થાયી ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે વકીલોને રોજિંદી કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ફરજિયાત ઈ-ફાઈલિંગની વ્યવસ્થા અમલમાં મુકવાથી સામાન્ય વાદકારો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ન્યાય મેળવવામાં વધુ મુશ્કેલી ઊભી થશે તેમજ ખર્ચમાં પણ વધારો થશે.

એસોસિએશને માંગ કરી છે કે જ્યાં સુધી રાજ્યભરમાં જરૂરી ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી કાયદેસરની જૂની પ્રક્રિયા મુજબ ફૂલસ્કેપ તથા અન્ય કાગળ પર અરજીઓ સ્વીકારવામાં આવે. સાથે જ હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચનાનો અમલ હાલ પૂરતો સ્થગિત રાખવાની પણ માંગ કરવામાં આવી છે.

સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર અનિશ્ચિત મુદત સુધી ડેડીયાપાડા બાર એસોસિએશનના વકીલો અદાલતી કામગીરીથી દૂર રહેશે અને કોર્ટમાં હાજરી આપશે નહીં. એસોસિએશને ચેતવણી આપી છે કે જો આગામી સોમવાર સુધી માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે.

ડેડીયાપાડા બાર એસોસિએશનના આ નિર્ણયથી સ્થાનિક ન્યાયિક કામગીરી પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button