South Gujarat

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને યુવરાજસિંહ જાડેજાની પાંચ દિવસની અલ્ટીમેટમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને યુવરાજસિંહ જાડેજાની પાંચ દિવસની અલ્ટીમેટમ:

ડેડીયાપાડામાં વિદ્યાર્થી-યુવા નેતાનો સરકાર સામે આક્રમક મોરચો; શિષ્યવૃત્તિ ખાતામાં જમા નહીં થાય તો 15મીએ ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી

સર્જન વસાવા, ડેડીયાપાડા: આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે ડેડીયાપાડા ખાતે વિદ્યાર્થી-યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર સામે આકરા પ્રહાર સાથે પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો પાંચ દિવસની અંદર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિની રકમ જમા નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

યુવરાજસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અગાઉ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના મુદ્દે ચૈતર વસાવા દ્વારા નર્મદા આદિજાતિ કમિશનરની કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર સ્થિત બિરસા મુંડા કચેરી તેમજ વિધાનસભા ઘેરાવ સુધી આંદોલન પહોંચ્યું હતું. આંદોલન બાદ અંદાજે ₹450 કરોડની શિષ્યવૃત્તિની ગ્રાન્ટ ફરીથી શરૂ કરવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો.

પરંતુ હવે ફરી એકવાર આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ સાથે જોડાયેલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થવાના આક્ષેપો સામે આવ્યા છે. યુવરાજસિંહે સરકાર પર આદિવાસી વિદ્યાર્થીઓ માટેની અંદાજે ₹550 કરોડની ગ્રાન્ટ અટકાવી રાખવાનો આક્ષેપ કરતાં તાત્કાલિક ચુકવણી કરવાની માંગ કરી છે.

તેમણે સરકારને સીધા શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, “પાંચ દિવસની અંદર આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ તેમના ખાતામાં જમા થવી જોઈએ. જો પાંચ દિવસમાં શિષ્યવૃત્તિ જમા નહીં થાય તો યાદ રાખજો, ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા માટે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે.”

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં આંદોલનને વ્યાપક સ્વરૂપ આપવાની ચીમકી આપતા કહ્યું કે, “પાંચ દિવસમાં શિષ્યવૃત્તિ નહીં મળે તો સમગ્ર આદિવાસી સમાજ ચૈતર વસાવા બનીને 15 ઓગસ્ટે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરશે.”

શિષ્યવૃત્તિનો મુદ્દો માત્ર નાણાકીય સહાયનો નહીં પરંતુ આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભવિષ્ય સાથે જોડાયેલો હોવાનો દાવો કરતાં તેમણે સરકારને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી છે.

હવે સરકાર આ પાંચ દિવસના અલ્ટીમેટમનો શું જવાબ આપે છે અને શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં ક્યારે જમા થાય છે, તેના પર આદિવાસી સમાજની નજર મંડાઈ છે.

“શિષ્યવૃત્તિ આપો, નહીં તો ગાંધીનગર આવો” ડેડીયાપાડાથી ઉઠેલો આ પડકાર હવે સરકાર સુધી પહોંચ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button