સાપુતારા ઘાટ માર્ગમાં અટવાયેલા સીનિયર સિટીઝન્સની મદદે નોટીફાઇડ એરિયા કચેરી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ઘાટ માર્ગમાં અટવાયેલા સીનિયર સિટીઝન્સની મદદે નોટીફાઇડ એરિયા કચેરી
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ગિરિમથક સાપુતારા સહિત ગુજરાતના પ્રવાસે આવેલા મહારાષ્ટ્રના સીનિયર સિટીઝન્સની મદદે નોટીફાઇડ એરિયા કચેરીના કર્મચારીઓએ આવીને, અવરોધાયેલા ઘાટ માર્ગને પણ યાતાયાત માટે ખુલ્લો કર્યો હતો.
સાપુતારા નોટીફાઇડ એરિયા કચેરીના ચીફ ઓફિસર શ્રી મેહુલ ભરવાડ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આજે સાંજે સાપુતારાથી પાંચ કિલોમીટરના અંતરે ઘાટ માર્ગમાં મહારાષ્ટ્રના પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક ખાનગી બસ, ઘાટ માર્ગમાં બેટરી ડાઉન હોવાને કારણે ખોટકાઈ પડી હતી. જેને લઇને ઘાટ માર્ગનો ટ્રાફિક પણ પ્રભાવિત થવા પામ્યો હતો. નોટીફાઇડ એરિયા કચેરી અને પેરાગ્લાઇડિંગની કારના ફેરણા કરી, તમામ વરિષ્ઠ નાગરિકોને સહી સલામત ગિરિમથક પહોંચાડ્યા હતા.
જ્યાં ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તલાટી શ્રી આકાશ પારેખ અને તેમની ટીમે પ્રવાસીઓને આશ્વસ્ત કરતા અલ્પાહારની વ્યવસ્થા પણ કરી હતી.
ઘાટ માર્ગમાં બંધ પડેલી બસ ને યેનકેન પ્રકારે સાઈડમાં લઈ, પ્રભાવિત થયેલો ટ્રાફિક નિયમિત કર્યો હતો.