Education

ડાંગની પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડાંગની પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા ખાતે ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ:

તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં https://navodaya.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે

દિનકર બંગાળ, આહવા: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ સંચાલિત ડાંગ જિલ્લાની પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારા, ખાતે શૈક્ષણિક સત્ર-૨૦૨૭ માટે ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટેની જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST-2027) ની જાહેરાત કરવામાં આવી છે.

જે માટે ડાંગ જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ લે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર, શાળાના આચાર્યશ્રી તેમજ નવોદય વિદ્યાલય પ્રબંધન કમિટી દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે.

આ સાથે જ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ આ એડમિશન પ્રક્રિયામાં તમામ લાયક વિદ્યાર્થીઓની નોંધણી થાય તે માટે જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ નોંધણી પ્રક્રિયામાં દીકરીઓની સંખ્યા ૫૦ % થી વધુ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પ્રવેશ પ્રક્રિયા માટે લાયક ઉમેદવાર ડાંગ જિલ્લાના કાયમી (બોનાફાઈડ) રહેવાસી હોવા જોઈએ અને હાલમાં (શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન) ડાંગ જિલ્લાની સરકારી કે માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતા હોવા જોઈએ. વિદ્યાર્થીએ ધોરણ-૩, ૪ અને ૫ નો અભ્યાસ સળંગ અને નિયમિત રીતે પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. તેમજ વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧-૦૫-૨૦૧૫ થી ૩૧-૦૭-૨૦૧૭ સુધીમાં હોવી જોઇએ.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જૂલાઇ ૨૦૨૬ છે. તેમજ આ માટે તારીખ: ૨૮ નવેમ્બર ૨૦૨૬ ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. ઉમેદવાર વિદ્યાર્થીઓ અરજી માટેની https://navodaya.gov.in અથવા https://cbseitms.rcil.gov.in/nvs/ વેબસાઈટ પર જઈને મફત ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેમાં ૧. વિદ્યાર્થીની સહી, ૨. માતા અથવા પિતાની સહી, ૩. વિદ્યાર્થીનો ફોટોગ્રાફ, ૪. આધાર કાર્ડ, ૫. જાતિ પ્રમાણપત્ર / સ્વઘોષણા પત્ર જેવાં દસ્તાવેજો ઇપલોડ કરવાના રહેશે.

આ પરીક્ષા કુલ ૧૦૦ ગુણની અને ૮૦ પ્રશ્નોની રહેશે, જેના માટે ૨ કલાકનો સમય (સવારે ૧૧:૩૦ થી બપોરે ૧:૩૦) મળશે. જેમાં માનસિક ક્ષમતા કસોટી (૪૦ પ્રશ્નો – ૫૦ ગુણ), અંકગણિત કસોટી (૨૦ પ્રશ્નો – ૨૫ ગુણ) અને ભાષા કસોટી (૨૦ પ્રશ્નો – ૨૫ ગુણ) ના પ્રશ્નો પુછવામાં આવશે.

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધીનું શિક્ષણ CBSE બોર્ડ હેઠળ સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા, પૌષ્ટિક ભોજન, મફત પાઠ્યપુસ્તકો, ગણવેશ અને સ્ટેશનરી, સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબ, સમૃદ્ધ પુસ્તકાલય તેમજ રમતગમત અને યોગ માટેની ઉત્કૃષ્ટ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.

ડાંગ જિલ્લાના તમામ લાયક વિદ્યાર્થીઓના વાલીઓને સમયસર ઓનલાઈન ફોર્મ ભરી માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button