કેક નહીં, વૃક્ષારોપણથી ઉજવ્યો જન્મદિવસ; ધોરણ ૬ ના શ્રેયાંશે આપ્યો હરિયાળા ભવિષ્યનો સંદેશ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
કેક નહીં, વૃક્ષારોપણથી ઉજવ્યો જન્મદિવસ; ધોરણ ૬ ના શ્રેયાંશે આપ્યો હરિયાળા ભવિષ્યનો સંદેશ
નાનકડા હાથોમાં હરિયાળા ભવિષ્યનું સ્વપ્ન: શ્રેયાંશે જન્મ દિવસે વાવ્યા સંસ્કારના બીજ
સર્જન વસાવા, ડેડીયાપાડા : આજના સમયમાં જ્યાં જન્મદિવસની ઉજવણી કેક કાપવા અને પાર્ટીઓ સુધી મર્યાદિત રહી ગઈ છે, ત્યાં પીએમ શ્રી પ્રાથમિક શાળા, થવા બ્રાન્ચમાં ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી શ્રેયાંશે પોતાના જન્મ દિવસને સમાજ માટે પ્રેરણાદાયી બનાવતા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો છે.
જન્મ દિવસ નિમિત્તે શ્રેયાંશે વૃક્ષારોપણ કરી લોકોને અપીલ કરી કે, “કુદરત આપણને જીવન આપે છે, તેથી દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસ સહિત દરેક શુભ પ્રસંગે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. આજનું એક વૃક્ષ આવતીકાલની અનેક પેઢીઓ માટે જીવનદાતા બની શકે છે.”
માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં, પરંતુ શ્રેયાંશને બાળપણથી જ પ્રકૃતિ અને બાગાયત પ્રત્યે વિશેષ લગાવ છે. પોતાના નાના ભાઈ જેકબ સાથે મળીને તેણે ઘરે હરિયાળું કિચન ગાર્ડન તૈયાર કર્યું છે. જેમાં રીંગણ, મરચાં, ગુવાર, ભીંડા, દૂધી, પાલક, ગલકા, તુરીયા, કારેલા, હળદર, આંબામોર અને સરગવો સહિત અનેક પ્રકારના શાકભાજીનું જૈવિક રીતે વાવેતર કરી તેની નિયમિત સંભાળ રાખવામાં આવે છે.
આ ઉપરાંત બંને ભાઈઓએ પોતાના ઘરે સીતાફળ, રામફળ, જામફળ, ચીકુ, શેતૂર, આંબા, પપૈયા અને દાડમ જેવા ફળાઉ વૃક્ષો પણ રોપ્યા છે. અનેક કુંડાઓમાં વિવિધ જાતના ફૂલ, શોભાના અને ઔષધીય છોડ ઉછેરી તેઓ હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ જાળવવામાં યોગદાન આપી રહ્યા છે. પોતાના પરિશ્રમથી ઉગાડેલા તાજા શાકભાજી અને ફળોનો પરિવાર ઉપયોગ કરે છે, જે જૈવિક ખેતી, પોષણયુક્ત આહાર, સ્વાવલંબન અને પર્યાવરણ જાગૃતિનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
નાની ઉંમરે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, જૈવિક ખેતીમાં રસ અને પર્યાવરણ માટેની જવાબદારી અન્ય બાળકો માટે પણ પ્રેરણાદાયી છે. આજના યુગમાં મોબાઇલ અને ટેક્નોલોજી વચ્ચે કુદરત સાથેનો આ અનોખો સંબંધ સમાજ માટે એક સકારાત્મક સંદેશ છે.
જન્મદિવસને માત્ર ઉજવણી નહીં, પરંતુ સમાજ અને કુદરત પ્રત્યેની જવાબદારી સાથે જોડવાનો શ્રેયાંશનો આ પ્રયાસ ખરેખર અન્ય બાળકો અને પરિવારો માટે અનુસરવા યોગ્ય પ્રેરણાદાયી પહેલ બની છે.



