Narmada

નર્મદામાં મેઘતાંડવ: રસ્તાઓ બંધ, નદીઓ બે કાંઠે, લોકોનું સ્થળાંતર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

નર્મદામાં મેઘતાંડવ: રસ્તાઓ બંધ, નદીઓ બે કાંઠે, લોકોનું સ્થળાંતર

ભારે વરસાદનો કહેર: પુલો બંધ, ઘરોમાં પાણી, તંત્ર હાઈ એલર્ટ પર

સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

ડેડીયાપાડા તાલુકાના જુના મોઝદા નજીક આવેલા પુલ પર વરસાદી પાણી ફરી વળતાં સુરક્ષાના ભાગરૂપે માર્ગ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ અણદુ ગામે ગરનાળા પર પાણી ફરી વળતાં ત્યાંનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

સાગબારા તાલુકાના ઉમાન ગામે ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં તરીકે બે કુટુંબના કુલ સાત વ્યક્તિઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, સેલંબામાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાગબારા–સેલંબા જોડતો પુલ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નદી-નાળા, પુલ અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા તેમજ અનાવશ્યક મુસાફરી ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા હોવાથી નાગરિકોને સતર્ક રહેવા અને માત્ર તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button