ડાંગ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાની ભરતીમાં ગેરરીતીની બુમરાણ:
આજે પણ વિધવા, ત્યકતા અને મહિલા ન્યાયની વાટે, પણ ન્યાય કોણ કરશે?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાની ભરતીમાં ગેરરીતીની બુમરાણ:
આજે પણ વિધવા, ત્યકતા અને મહિલા ન્યાયની વાટે, પણ ન્યાય કોણ કરશે?
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં PM POSHAN (મધ્યાહન ભોજન) યોજનામાં ૨૦૨૩-૨૪ નાં વર્ષમાં ખાલી પડેલી જગ્યા ઉપર ગત દિવસોમાં સંચાલક, રસોઈયા અને મદદનીશની ભરતી કરવામાં આવેલ હતી. સંપૂર્ણ ભરતી પ્રક્રિયા દરમિયાન પારદર્શીતા જળવાઈ નથી અને ભરતીમા ગેરરીતીઓ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે,
ગુજરાત સરકાર પારદર્શિતા માટે કટિબદ્ધ છે ત્યારે શું ડાંગ જેવાં છેવાડાના જીલ્લામાં આવુ જ ચાલે તો યોગ્ય ઉમેદવારોને ન્યાય આપશે કોણ? ની ચર્ચાઓ વચ્ચે જાગૃત નાગરિકે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ અરજી કરતાં સમગ્ર બાબત સ્પષ્ટ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવનારી પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સંચાલક માટે ૧૭ જગ્યાઓ, રસોઈયાની ૧૪ જગ્યા અને મદદનીશ માટે ૩૫ જગ્યા મળીને કુલ ૬૬ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૭૪ અરજીઓ અરજદારોએ કરી હતી. જેમાંથી સંચાલક માટે ૬૬ , રસોઈયા માટે ૦૮ અને મદદનીશ માટે ૦૦ અરજીઓ મધ્યાહન ભોજન યોજનાની શાખામાં આવી હતી. પરંતુ ભરતીમાં ગેરરીતી થઈ હોવાની શંકા હોવાથી અરજદારોએ લેખિત મૌખિક રજૂઆતો જવાબદાર અધિકારીને કરી હતી.
ભરતીમાં સુપ્રીમ કોર્ટના સુચનો નિયમોને પણ અધિકારીઓ દ્વારા પાલન કરવા આવ્યું નથી. અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટેના સુચનો અને નિયમોનાં પણ ધજાગરા ઉડાવી દીધા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લાના અધીકારીઓ પોતાને દેશનો કાયદો અને વ્યવસ્થાથી પણ ઉપર ગણતાં હોય તેમ લાગી રહ્યું છે.
અરજદારોએ ભરતી બાબતે થયેલો અન્યાય અને ગેરરીતિની લેખિત મૌખિક રજૂઆત કરી હતી. છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય ઉમેદવારો જોડે ન્યાય કર્યો નથી. અધિકારીઓ દ્વારા ઉમેદવારોને જણાવાયું હતુ કે, ભરતીમાં યોગ્ય ઉમેદવારો જોડે અન્યાય નહિ થાય પરંતુ અધિકારીઓ ન્યાયનાં નામે અન્યાયનો લોલીપોપ ઉમેદવારોને પકડાવી દિધો હોવાનુ જાણવા મળ્યુ હતું.
સરકારશ્રી અને સુપ્રીમ કોર્ટના નિયમો અને શરતો પ્રમાણે વિધવા મહિલા, ત્યકતા મહિલા અને જો મહિલા ઉમેદવાર ઉમેદવારી કરે તો તેમને પ્રથમ અગ્રતા આપવાની હતી. જે નફ્ફટ અને ભ્રષ્ટાચારમાં આળોટેલા અધિકારીઓ ભરતીના સુચનો અને નિયમોને લાત મારી અને ભ્રષ્ટાચાર કરી ઉમેદવારોની પસંદગી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરતીમાં ગેરરીતી થઈ હોવાની શંકા ઉમેદવારોની સાથોસાથ ડાંગ જિલ્લાની આદિવાસી જનતાને પણ થાય છે. ડાંગ જિલ્લાના મોટા અને જાણીતા નામી નેતાઓનું પણ ભરતીની ગેરરીતિમાં હાથ હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે.
ભરતીમાં થયેલી ગેરરીતીને કારણે યોગ્ય ઉમેદવારો, વિધવાઓ અને શિક્ષિત મહિલાઓને ન્યાય મળે, માટે આ ભરતી રદ કરવામાં આવે, ગેરરીતિ કરનાર ઉમેદવારોને છૂટા કરી કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી આશા આજે પણ ઉમેદવારોને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર આ કથિક ભરતી કૌભાંડમાં લાયક ઉમેદવારોને ન્યાય ક્યારે અને કેવી રીતે અપાવશે તે તો આવનાર સમય બતાવશે. કે પછી આવા પ્રકારના કથિક કૌભાંડને છાવરીને વધુ વેગ મળશે કે પછી તંત્ર નિષ્પક્ષ તપાસ કરીને લાયક ઉમેદવારને ન્યાય અપાવે તેવી લોકમાંગ ઉઠી છે.