Narmada

કુંનબારમાં મોબાઇલ નેટવર્કનો સળગતો પ્રશ્ન: તંત્ર ક્યારે જાગશે?

વર્ષોથી નેટવર્કની સમસ્યા છતાં તંત્ર કેમ નિષ્ક્રિય? સર્જન વસાવાએ માંગ્યો કાયમી ઉકેલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

કુંનબારમાં મોબાઇલ નેટવર્કનો સળગતો પ્રશ્ન: તંત્ર ક્યારે જાગશે?

વર્ષોથી નેટવર્કની સમસ્યા છતાં તંત્ર કેમ નિષ્ક્રિય? સર્જન વસાવાએ માંગ્યો કાયમી ઉકેલ:

ગ્રામિણ ટુડે, નર્મદા: નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કુંનબાર ગામ તથા આસપાસના વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી ગંભીર મોબાઇલ નેટવર્ક સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આજના ડિજિટલ યુગમાં પણ કુંનબારના ગ્રામજનોને વિશ્વસનીય મોબાઇલ નેટવર્ક સેવા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, ગ્રામ પંચાયત તેમજ સામાન્ય નાગરિકોની ઓનલાઈન કામગીરી પર સીધી અસર પડી રહી છે. ઓનલાઈન શિક્ષણ, સરકારી સેવાઓ, બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી જરૂરી સેવાઓમાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇમરજન્સી સેવાઓને લઈને ગંભીર ચિંતા

નેટવર્કના અભાવે 108, 112 અને 181 જેવી ઇમરજન્સી સેવાઓનો સમયસર સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યો છે. કટોકટીની પરિસ્થિતિમાં મદદ મેળવવામાં વિલંબ થાય તો લોકોની સુરક્ષા અને જીવન સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગ્રામજનો મોબાઇલ રિચાર્જ કરાવે છે, પરંતુ નેટવર્કના અભાવે તેનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી. જેના કારણે મહેનતની કમાણી માંથી કરેલો રિચાર્જ પણ ઘણી વખત વ્યર્થ જતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

કુંનબાર વિસ્તારમાં ઈકો-ટુરિઝમ સ્થળ હોવાના કારણે અહીં આવતા પ્રવાસીઓને પણ મોબાઇલ કનેક્ટિવિટીના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં કુંનબાર ગામમાં તાત્કાલિક ટેકનિકલ નેટવર્ક સર્વે અને ડ્રાઇવ ટેસ્ટ કરવા, નેટવર્ક બ્લેક સ્પોટની ઓળખ કરી ઉકેલ લાવવા, જરૂરિયાત મુજબ મોબાઇલ ટાવર અથવા અન્ય નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા તથા સંબંધિત મોબાઇલ કંપનીઓને સમયમર્યાદામાં નેટવર્ક સુધારવા માટે જરૂરી કાર્યવાહી કરાવવાની માંગ કરવામાં આવી છે.

સાથે જ કરવામાં આવેલી કાર્યવાહી અંગે લેખિત Action Taken Report આપવા પણ માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, “વર્ષોથી ચાલતી સમસ્યામાં હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ નક્કર, કાયમી અને સમયબદ્ધ કાર્યવાહી જરૂરી છે.”

કુંનબારના ગ્રામજનોના અધિકાર, સુરક્ષા અને ડિજિટલ સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ગંભીર પ્રશ્નમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button